Obesity: એક દિવસમાં કરાઇ 30 બેરિયાટ્રિક સર્જરી, 50 ટકા મેદસ્વિ લોકોને કોરોના ભરખી ગયો

મેદસ્વીતાને કારણે અનેક સમસ્યાઓ થતી હતી, રોજિંદીક્રિયાઓમાં તકલીફ પડતી હતી, લગ્ન કરવામાં પણ સમસ્યા થઈ. ફરસાણની દુકાન હતી પણ ભારે વજનને કારણે દુકાન 3 વર્ષ પહેલાં બંધ કરવી પડી. જો કે ઓપરેશન બાદ તમામ સમસ્યાઓનો અંત આવશે એવી આશા છે.

Obesity: એક દિવસમાં કરાઇ 30 બેરિયાટ્રિક સર્જરી, 50 ટકા મેદસ્વિ લોકોને કોરોના ભરખી ગયો

અતુલ તિવારી, અમદાવાદ: શરીરની મેદસ્વિતા (Obesity) વિશ્વના મહત્તમ દેશોમાં સામાન્યપણે જોવા મળતી એક જટિલ સમસ્યા બનીને ઉભરી રહી છે પરંતુ કોરોના મહામારીએ સૌ કોઈને ફરી એકવાર તંદુરસ્તી માટે લોકોને જાગૃત કર્યા અને લોકો સ્વસ્થ રહેવા પ્રયત્નશીલ બન્યા છે. પરંતુ મેદસ્વિતાની ભયજનક પરિસ્થિતિને ધ્યાને લઇ કે.ડી.હોસ્પિટલે નોબેસીટી સાથે મળીને 6 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં 30 બેરીયાટ્રિક સર્જરી કરી છે, જેમાં 35 થી 65 વર્ષની વયના લોકોનો સમાવેશ કરાયો, અને સૌથી વધુ 220 કિલોગ્રામ વજન ધરાવતા દર્દીનો પણ સમાવેશ થયો.

કે.ડી.હોસ્પિટલ (KD Hospital) દ્વારા હાથ ધરાયેલી 30 બેરિયાટ્રિક સર્જરી વિશે વાત કરતા ઓબેસીટીના ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ ડોક્ટર મનીષ ખેતાને કહ્યું હતું કે મેદસ્વીતા એક બીમારી છે, જે લોકો સ્વીકારે. મેદસ્વીતા અંગે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા તથા મેદસ્વીતા સાથે જોડાયેલા ઘણા રોગોના જોખમોને નિવારવા અમે એક સાથે 30 બેરિયાટ્રિક સર્જરી કરવાની પહેલા કરી છે. મેદસ્વીતા (Obesity) હોય તો લોકો એની સારવાર કરાવે, મેદસ્વીતા બીજા અનેક જીવલેણ રોગો તરફ લોકોને ધકેલે છે. 

મેદસ્વીતા (Obesity) અંગે 220 કિલો વજન ધરાવતા હિરેનભાઈ કે જેમણે ઓપરેશન કરાવ્યું અને કહ્યું હતું કે મેદસ્વીતાને કારણે અનેક સમસ્યાઓ થતી હતી, રોજિંદીક્રિયાઓમાં તકલીફ પડતી હતી, લગ્ન કરવામાં પણ સમસ્યા થઈ. ફરસાણની દુકાન હતી પણ ભારે વજનને કારણે દુકાન 3 વર્ષ પહેલાં બંધ કરવી પડી. જો કે ઓપરેશન બાદ તમામ સમસ્યાઓનો અંત આવશે એવી આશા છે.

30 બેરિયાટ્રિક સર્જરી (Bariatric surgery) કરવા મામલે વાત કરતા ડોકટર પીનલ શાહે કહ્યું હતું કે મેદસ્વિતાપણું પુરુષો કરતા મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અમે કરેલી 30 સર્જરીમાંથી 60 ટકા સર્જરી મહિલાઓની કરાઈ છે જેમાં પુરુષોનું પ્રમાણ 40 ટકા હતું. આ સિવાય મેદસ્વીતા મામલે જો ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો દેશમાં રાજ્યની સ્થિતિ 7 માં નંબરે આવે છે જેમાં પંજાબ અને કેરળમાં મેદસ્વિતાની સ્થિતિ સૌથી વધુ જોવા મળે છે. પરંતુ મેદસ્વીતા સાથે ડાયાબીટીસની વાત જ્યારે કરીએ છીએ ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત પહેલા નંબરે છે.

મેદસ્વીતા (Obesity) ની ગંભીરતા સમજવા તાજેતરમાં CDC દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ પર નજર કરીએ તો 1,48,494 પુખ્ત કોવિડ દર્દીઓમાંથી 72,491 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 28 ટકા દર્દીઓ વધુ પડતા વજનવાળા જ્યારે 50.2 ટકા દર્દીઓ મેદસ્વી હતા. આ રિપોર્ટ મુજબ એવું તારણ સામે આવ્યું કે 78.5 ટકા કોવિડના દર્દીઓ કે જેમને દાખલ કરાયા તેઓ વધુ વજનવાળા અથવા મેદસ્વી હતા. કોવિડના કારણે જે દર્દીઓ મૃત્યુ પામ્યા એમની ટકાવારી પણ 50 ટકા કરતા વધુ જોવા મળી છે. આ સિવાય વધુ એક અભ્યાસ મુજબ 2010 થી 2040 દરમિયાન ભારતમાં વધુ વજનવાળા લોકોનો દર બમણો તથા મેદસ્વીતાવાળા લોકોનો દર ત્રણ ગણો થઈ જશે.

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોને અસર થઈ, જેમાં મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ સ્થૂળ લોકોમાં વધારે હતું. મેદસ્વીપણું અનેક રોગોનું ઘર પણ માનવામાં આવે છે, જેમાં ટાઈપ 2 ડાયાબીટીસ, હૃદયરોગ, સ્તન તથા આંતરડાનું કેન્સર અને સ્ટ્રોકનો સમાવેશ થાય છે. મેદસ્વીતાને હવે લોકો એક બીમારી સમજે એ જરૂરી થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news