2019નું રણ જીતવા માટે પીએમ મોદીની 6 'સિક્સર', વિપક્ષ ક્લિન બોલ્ડ

એનડીએ સરકારે સામાન્ય ચૂંટણી પહેલાં શુક્રવારે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગને આકર્ષવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે 

2019નું રણ જીતવા માટે પીએમ મોદીની 6 'સિક્સર', વિપક્ષ ક્લિન બોલ્ડ

નવી દિલ્હીઃ એનડીએ સરકારે સામાન્ય ચૂંટણી પહેલાં શુક્રવારે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગને આકર્ષવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. ચૂંટણી વર્ષમાં પીએમ મોદીએ તમામ વર્ગના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ દ્વારા મોદી સરકારે જે 6 'સિક્સર' ફટકારી છે, તેનાથી વિરોધ પક્ષ ચકિત રહી ગયું છે. આવો જાણીએ પીએમ મોદીની 6 સિક્સર કઈ છે...

1. નાના ખેડૂતોને રૂ.6,000ની રકમ 
પીયુષ ગોયલે એક નવી યોજના 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી'ની જાહેરાત કરી હતી, જેમાં 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતના બેન્ક ખાતામાં ત્રણ એક સમાન હપ્તામાં રૂ.6000ની રકમ જમા કરવામાં આવશે. પીયુષ ગોયલે જણાવ્યું કે, આ યોજનાથી સરકારની તિજોરી ઉપર લગભગ રૂ.75,000 કરોડનો વાર્ષિક બોજો આવશે, પરંતુ તેનાથી કૃષિ ક્ષેત્રને જે મુશ્કેલી પડી રહી છે તેમાં મોટી રાહત મળશે. તેનાથી દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. ખેડૂત વર્ગને લઈને આ યોજના મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણાય છે. 

2. મજૂરો માટે 'મેગા પેન્શન યોજના'
વચગાલાના બજેટમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરોને સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવા માટે 'પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના'ની જાહેરાત કરી છે. જેના અંતર્ગત 60 વર્ષની વય બાદ મજૂરોને રૂ.3,000નું માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે મજૂરોએ માસિક રૂ.100નું યોગદાન આપવાનું રહશે. સરકાર પણ પોતાના તરફથી આટલી જ રકમ જમા કરાવશે. તેનાથી 10 કરોડ મજૂરોને ફાયદો થસે. મોદીનો આ બીજો માસ્ટરસ્ટ્રોક છે. આ યોજના અંતર્ગત 29 વર્ષ સુધીની ઉંમરના મજૂરે માસિક રૂ.100 અને 18 વર્ષ સુધીની ઉંમરના મજૂરે માસિક રૂ.55 જમા કરાવાના રહેશે. 

3. નોકરિયાત વર્ગને આવકવેરામાં મોટી રાહત 
આ સાથે જ મધ્યમ વર્ગને મોટી રાહત આપતા પીયુષ ગોયલે આવકવેરામાંથી રાહતની મર્યાદા રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી અને સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શન જે વર્તમાનમાં રૂ.40,000 છે તેને વધારીને રૂ.50,000 સુધી કરવામાં આવ્યું છે. પીયુષ ગોયલે જણાવ્યું કે, આ જાહેરાતથી મધ્યમ વર્ગના 3 કરોડ કરદાતાઓને ફાયદો થશે. આ સાથે જ પીયુષ ગોયલે જણાવ્યું કે, જો વ્યક્તિગત કરદાતા આયોજનબદ્ધ રીતે રોકાણ કરે છે તો તેને રૂ.6,50 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો નહીં રહે. મોદી સરકારની આ સિક્સરથી મધ્યમ વર્ગના 3 કરોડ કરદાતા, સ્વરોજગાર કરનારા  અને વરિષ્ઠ નાગરિકોને મળીને કુલ રૂ.18,500 કરોડ સુધીનો ફાયદો મળશે. આ ઉપરાંત સરકારે ગ્રેજ્યુઈટીની મર્યાદા પણ વધારીને રૂ.20 લાખ કરી છે. સાથે જ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESI) નિયમ અંતર્ગત પાત્રતા રૂ.15,000થી વધારીને રૂ.21,000 પ્રતિમાસ વેતન કરવામાં આવી છે.  

બજેટ 2019: મિડલ ક્લાસને રાહત આપવા આ 3 ટેક્સ તાકીદે હટાવવાની છે જરૂર, હટાવશે મોદી સરકાર?

4. ગામ અને ગાય પર ફોકસ
આ ઉપરાંત, સરકારે રાષ્ટ્રીય ગોકુલ મિશન માટેની ફાળવણી વધારીને રૂ.750 કરોડ કરી છે. તેનાથી ગાય સંસાધનો, આનુવાંશિક અભ્યાસ અને ગાયોનું ઉત્પાદન તથા ઉત્પાદક્તા વધારવામાં મદદ મળશે. આ આયોગ ગાયો માટેના કાયદા અને કલ્યાણ યોજનાને અસરકારક રીતે અમલમાં મુકવાની પણ દેખરેખ રાખશે. મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ અંગે પણ સતત ધ્યાન કેન્દ્રીત કરવા માટે સરકારે અલગથી 'મત્સ્યપાલન વિભાગ' બનાવવાનો નિર્ણય લીધો છે. કુદરતી આપત્તીનો ભોગ બનેલા કૃષિ ક્ષેત્ર માટે બે ટકા વ્યાજ સહાયની જાહેરાત કરાઈ છે અને જો સમયસર લોન ચૂકવી દેવામાં આવે તો તેમને 3 ટકા વધારાની સહાય અપાશે. બજેટમાં 1 લાખ ડિજિટલ ગામ બનાવવાની પણ જાહેરાત કરાઈ છે. 

5. જવાનોનો વધશે જૂસ્સો
નાણામંત્રી પીયુષ ગોયલે શુક્રવારે જાહેરાત કરી કે 2019-20માં સંરક્ષણ બજેટ રૂ.3 લાખ કરોડથી વધુ કરી દીધું છે અને પ્રથમ વખત આ આંકડો પાર કરી રહ્યું છે. વન રેન્ક વન પેન્શન (OROP) માટે સરકારે પહેલાથી જ રૂ.35,000 કરોડ કરતાં વધુ ફાળવી ચૂકી છે. 

6. આયુષમાન ભારત યોજના
કેન્દ્ર સરકારે વર્ષ 2019-2020ના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ.61,398 કરોડની જોગવાઈ કરી છે. જેમાં રૂ.6,400 કરોડ કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષમાન યોજના માટે ફાળવાયા છે. આ યોજનાનો દેશના 10 કરોડથી વધુ પરિવારો સુધી લાભ પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે અને અત્યાર સુધી યોજના અંતર્ગત 10 લાખ લોકોનો ઈલાજ થઈ ચૂક્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news