સામાજીક સૌહાર્દના પ્રતિક દર્શન થશે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં, યોજાયું સૌહાર્દ સંમેલન

મહત્વનું છે કે આ રથયાત્રામાં પોલીસના લોંખડી બંધોબસ્તની સાથે સાથે સમાજીક સૌહાર્દનું પ્રતિક બનેલી નજરે પડશે. જેને પગલે શુકવારે  અમદાવાદ શહેર પોલીસ અને શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે કારંજના પથ્થરકુવા વિસ્તારમાં સૌહાર્દ સંમેલન આયોજીત કરવામાં આવ્યું હતું.

સામાજીક સૌહાર્દના પ્રતિક દર્શન થશે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં, યોજાયું સૌહાર્દ સંમેલન

મૌલિક ધામેચા/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રા અમદાવાદમાં 1 જુલાઈએ પરંપરાગત રૂટ પરથી પસાર થશે. જેને લઈ પોલીસે તમામ બંધોબસ્તની તૈયારી કરી લીધી છે. મહત્વનું છે કે આ રથયાત્રામાં પોલીસના લોંખડી બંધોબસ્તની સાથે સાથે સમાજીક સૌહાર્દનું પ્રતિક બનેલી નજરે પડશે. જેને પગલે શુકવારે  અમદાવાદ શહેર પોલીસ અને શાંતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે કારંજના પથ્થરકુવા વિસ્તારમાં સૌહાર્દ સંમેલન આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના 2 મહિલા DCP ડૉ. લવિના સિન્હા અને કાનન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. 

વિસ્તારની તમામ સમાજની મહિલાઓની બહોળી સંખ્યામાં ઉપસ્થિતી એ આ કાર્યક્રમને સૌથી મોટી વિશેષતા હતી. આજે અમદાવાદ પોલીસ અમદાવાદ પોલીસ એકતા, ભાઈચારો અને પ્રેમનો સંદેશ લાવી હોય તેવો માહોલ દેખાયો સાથે જ આવનારા તમામ તહેવારો સુખરૂપ ઉજવાય તેવી સૌકોઈ પાસેથી પોલીસને અપેક્ષા હતી. 

એટલું જ નહીં સમાજની દરેક ઘરમાંથી સાનિયા મિર્ઝા અને અબ્દુલ કલામ નિકળવા જોઈએ.અમદાવાદની ઓળખ સમાન રથયાત્રાના સદીઓ જૂના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં પોલીસ અધિકારીઓના સર્વ સમાવેશી વલણ અને શાંતિની અપીલ ખૂબ જ અસરકારક રહી. મહિલા આગેવાનો, NGO, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌ કોઈએ ખુશી-ખુશી અમદાવાદ શહેર પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શી ટીમના અને વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

મહિલા મહોલ્લા મિટિંગમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા ભાઈચારાની ભાવના સ્થાપિત થાય તે માટે  મહિલાઓને સંબોધતા ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, એક સ્ત્રી ઘરને સારી રીતે ચલાવી શકે તો દેશ અને વ્યવસ્થાને પણ સારી રીતે ચલાવી શકે, રથયાત્રા શાંતિ-સુરક્ષા અને સૌહાર્દપૂર્ણ રીતે સંપન્ન થાય તેમાં મહિલાઓની ભૂમિકા સૌથી અગત્યની છે. બે વર્ષે રથયાત્રા યોજાઈ રહી છે તો સ્વાભાવિક રીતે જ ભાવિકોમાં ઉત્સાહ હશે. ત્યારે બહેનો અને દીકરીઓ આગળ આવે અને પોલીસને સહકાર આપે. આવા સંમેલનોમાં મળ્યા બાદ રથયાત્રાના બંદોબસ્તમાં મળીશું તો વિશેષ આનંદ થશે. 

એટલું જ નહીં મહિલાઓ પોતાની પારખુ નજરથી શાંતિ ડહોળનારા અને ઉપદ્રવી લોકોને ઓળખે અને પોલીસને તેની માહિતી આપે. માત્ર રથયાત્રા જ નહીં ઈદ, જન્માષ્ટમી અને મહોર્રમમાં પણ શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે અને કોઈપણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લે તેનું બારીકાઈથી નિરીક્ષણ મહિલાઓ કરતા વધારે સારું કોઈ ન કરી શકે. 

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં સુરક્ષા અને સૌહાર્દ સંબંધિત મહિલા સંમેલન પ્રથમ વખત આયોજીત થવા પર ડૉ. લવિના સિન્હાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે સામાન્ય રીતે મહિલાઓ ચીવટપૂર્વક કામ કરવા ટેવાયેલી હોય છે. આ વિસ્તારની મહિલાઓ મહેંદી કે કાપડ પરની સિલાઈનું કામ પણ ઝીણવટપૂર્વક કરે છે. તેટલી જ ચોક્કસાઈથી પોલીસ સાથે મળીને શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મહિલાઓએ આગેવાની લેવાની છે. રથયાત્રા અને ઈદ જેવા ધાર્મિક પ્રસંગોના સમયે માહોલ બગાડવાના પ્રયાસોને અટકાવવા મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસનું ધ્યાન દોરે. 

બાળકીઓના અભ્યાસ પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતુ કે, તમારા વચ્ચેની કોઈ બાળકી પણ ભવિષ્યમાં મોટા અધિકારી બની શકે છે. આ ઉપરાંત તેમણે ડ્રગ્સ જેવા દુષણને નાથવામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવતા મહિલાઓ તેમના સંતાનોને ડ્રગ્સ સહિતના વ્યસનોથી દૂર રાખી શકવા સક્ષમ હોવાનું પણ તેમણે કહ્યું હતું. ઘરમાં સૌથી પહેલા જાગતી મહિલાઓ સમાજને જગાડવામાં પણ આગળ આવે તેવી અપીલ ડૉ. લવિના સિન્હાએ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news