મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લીધા : જેની સરકાર નથી એ જમીન ક્યાંથી અપાવશે!

Mansukh Vasava Vs Chaitar Vasava : ડેડીયાપાડાના ફુલસર ગામે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા

મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લીધા : જેની સરકાર નથી એ જમીન ક્યાંથી અપાવશે!

Narmada News : ડેડીયાપાડા ફુલસર ગામે ભાજપ સંકલ્પ યાત્રામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા. ખોટી રીતે ઉશ્કેરનાર લોકોથી આદિવાસીઓને સાવધ રહેવા સાંસદે જાહેરમાં ટકોર કરી છે. ‘જંગલની જમીનો અમે અપાવીશું, જેની સરકાર નથી એ ક્યાંથી અપાવશે’ તેવું કહી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, આદિવાસીઓ દુઃખી હોવાનું મુખ્ય કારણ વ્યસન છે. જંગલની જમીનો આડેધડ ના ખેડવા સાંસદે સૂચના આપી.

ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે. આપના ધારાસભ્ય ઘણા દિવસોથી ફરાર છે, જેને લઈને પોલીસ પણ તેવોને શોધી રહી છે. ત્યારે ડેડીયાપાડાના ફુલસર ગામે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

જે આપણો વિકાસ કરે છે તેમની વાત સાંભળવી જોઈએ
મનસુખ વસાવાએ કહ્યું હતું કે નાની મોટી કચેરીઓમાં ગરીબ આદિવાસીઓ કામ કરે છે એમને ધમકાવવા કરતા સહકારથી કામ કરવું જોઈએ. અગાઉની સરકારમાં આદિવાસીઓને જંગલની જમીનો નથી મળતી. જે ભાજપ સરકારે અપાવી રહી છે. આદિવાસીઓને જે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમનાથી સાવધાન રહેવા જણાવ્યું હતું. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે, ઢોર નઈ. એટલે જે આપણો વિકાસ કરે છે તેમની વાત સાંભળવી જોઈએ. ભાજપે આદિવાસી યુવાનોને ખોટી રીતે ક્યારેય ઉશ્કેર્યા નથી. પરંતુ જે લોકો ઉશ્કેરવાનું કામ કરે છે, તેમનાથી સાવધ રહેવા બાબતે સાંસદે આદિવાસીઓને ટકોર કરી હતી.

જેની સરકાર નથી એ જમીન ક્યાંથી અપાવશે
ભાજપના સાંસદે વધુમા કહ્યું કે, ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે. પરંતુ હું સાચો છું, મને પાડવાની એમનામાં તાકાત નથી. આસામમાં આવું બોલનારને બંદૂકથી ઉડાવી દેવામાં આવે છે. મેં ત્યાં જઈને પણ દારૂબંધીની વાત કરી છે, જંગલની જમીનો જેમની બાકી છે તેમને અમે જ અપાવીશું. જેની સરકાર નથી એ ક્યાંથી અપાવશે. તેમજ જંગલની જમીનો આડેધડ ના ખેડવી જોઈએ તેવી વાત તેઓએ કરી હતી. તેમજ ભાજપ કલ્યાણકારી પાર્ટી હોવાથી આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં ભાજપ ની બહુમતીથી જીત થઈ છે તેવુ પણ જણાવ્યુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news