જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પદે રહેશે કે પછી પત્તું કપાશે? સંગઠન રચનાની તૈયારીઓ

જીતુ વાઘાણીના(Jitu Vaghani) પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 2017ની વિધાનસભાની (2017 Assembly Elections) ચૂંટણીઓ, તાલુકા-જિલ્લા પંચાયતની પેટાચૂંટણીઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓ અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી (2019 Loksabha Election) જેવી મહત્વની ચૂંટણીઓ યોજાઈ હતી.  
 

જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પદે રહેશે કે પછી પત્તું કપાશે? સંગઠન રચનાની તૈયારીઓ

બ્રિજેશ દોશી/ અમદાવાદઃ ભાજપના(BJP) સંગઠનની સંરચનાની તૈયારીઓ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, બુથ અને મંડલ સ્તરની રચનાઓ બાદ આ સપ્તાહે જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત થશે. નવા પ્રદેશ પ્રમુખની(State Chief) ચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય પાંખ દ્વારા 2 નિરિક્ષકો - કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) અને રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહના(Arunsinh) નામની જાહેરાત કરી છે. આથી, હવે વર્તમાન જીતુ વાઘાણીનો(Jitu Vaghani) પ્રદેશ અધ્યક્ષ તરીકેનો નવો કાર્યકાળ આગળ વધશે કે પછી તેમનું પત્તું કપાઈ જશે તે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે. 

આ બંને નેતાઓ આગામી દિવસોમાં ગુજરાત આવશે અને પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જે રીતે ગુજરાત ભાજપ ના પ્રમુખ માટે નિરિક્ષકોની જાહેરાત થઇ છે તે જોતાં આગામી દિવસોમાં ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળે તો નવાઇ નહિ. વર્તમાન પ્રમુખ જીતુ વાઘાણીનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે. પહેલા એવું મનાતું હતું કે, જીતુ વાઘાણીને પૂરો કાર્યકાળ મળ્યો નથી ત્યારે તેમને વધુ સમય આપવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે, તત્કાલીન પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમના સ્થાને જીતુ વાઘાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને જૂની ટીમ સાથે જ તેમણે 3 વર્ષનો સમય ગાળો પૂર્ણ કર્યો. 

જીતુ વાઘાણીના(Jitu Vaghani) પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 2017ની વિધાનસભાની ચૂંટણીઓ, તાલુકા-જિલ્લા પંચાયતની પેટાચૂંટણીઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓ અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જેવી મહત્વની ચૂંટણીઓ યોજાઈ હતી. આ તમામ સમય દરમિયાન પ્રદેશ ભાજપને સતત સફળતાઓ મળી છે અને સંગઠનના પણ અનેક કાર્યક્રમો યોજાયા હતા.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના અભિવાદનની વાત હોય કે ગાંધીનગર લોકસભાના વિવિધ કાર્યક્રમો, તમામ સ્તરે સફળતાઓ મળી હતી. જોકે સંગઠન અને સરકાર વચ્ચે સંકલનને લઇને હંમેશા વિવાદ રહ્યો. યુવા પ્રદેશ પ્રમુખના કારણે સિનિયરો પણ નારાજ રહ્યા હોવાની ચર્ચાઓ રહી છે. તેમ છતાં જીતુ વાઘાણીએ 3 વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. 

જીતુ વાઘાણીના કાર્યકાળના અંતિમ દિવસોમાં વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામોએ ભાજપને ઝટકો આપ્યો હતો. આ પરિણામમાં ભાજપને થયેલા નુકસાનના કારણે કેન્દ્રીય મોવડીમંડળ જીતુ વાઘાણીથી નારાજ હોવાની પણ સંગઠનના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે. આ ઉપરાંત, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ભાજપ પ્રવેશ મુદ્દે સ્થાનિક નેતાઓની નારાજગી ઉડીને બહાર આવી છે.  

હાલ, પ્રદેશ પ્રમુખના પદ માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરસોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા, પ્રફૂલ પટેલ, રજની પટેલ અને રૂષિકેશ પટેલ સહિતના પાટીદાર આગેવાનોના નામ ચર્ચામાં છે. તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો બાદ પાટીદારો તરફ ભાજપનો ઝોક વધે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છે, ત્યારે નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર હશે તેવી ચર્ચા પણ કાર્યકરોમાં ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news