રૂપાલની પલ્લીમાં બની અદભૂત ઘટના, માતાજીના ગોખમાં કબૂતર આવી ચઢ્યું

Rupal ni Palli : ગાંધીનગરના રૂપાલમાં રંગેચંગે નીકળી વરદાયિની માતાજીની પલ્લી,,, દેશભરમાંથી આવેલા ભક્તોએ પલ્લીમાં ઘી ચડાવીને પોતાની માનતા કરી પૂરી,,, અંદાજે 50 કરોડ રૂપિયાના ઘીનો થયો અભિષેક

રૂપાલની પલ્લીમાં બની અદભૂત ઘટના, માતાજીના ગોખમાં કબૂતર આવી ચઢ્યું

Gandhinagar News : ગાંધીનગરના રૂપાલ ગામની અતિપ્રખ્યાત વરદાયિની માતાજીની પલ્લી નોમના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. વહેલી સવારે ચાર વાગ્યે પલ્લી રૂપાલ ગામમાં પલ્લી પરંપરાગત રીતે કાઢવામાં આવી હતી. લાખો ભક્તોની હાજરીમાં પલ્લી પર ઘીનો અભિષેક કરાયો હતો. અનેક શ્રદ્ધાળુઓ દ્વારા માનતા પૂરી કરવા ઘી ચઢાવાયું. બાળકો માટે રાખેલી માનતા પૂર્ણ કરવા પલ્લીની ઉપર નાના બાળકોને શિશ નમાવી માનતા પૂરી કરાઈ હતી. પાંડવો કાળથી ચાલી આવતી પલ્લીની આ પરંપરા આજે પણ અકબંધ છે. રૂપાલ ગામના સ્વયંસેવકો અને પોલીસની સુરક્ષા વચ્ચે નિર્વિઘ્ન રૂપાલ ગામથી નીકળેલી પલ્લી માતાજીના મંદિરે પહોંચી હતી. 

ગામમાં ઘીની નદી વહી
દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. પલ્લીની ખાસ વિશેષતાઓમાં ઘીના અભિષેકને મહત્વ છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વારા લાખો લીટર ઘી પલ્લી પર ચઢાવવામાં આવ્યું. માનતામાં માનેલું ઘી પલ્લી પર ચઢાવવામાં આવે છે. રૂપાલ ગામમાં 27 ચકલા પર પલ્લી ઉભી રહીને પલ્લી પર ઘી ચડાવે છે. જ્યાંથી પલ્લી પસાર થાય ત્યાં ઘીની નદીઓ વહેચી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. પલ્લીની પરંપરા પ્રમાણે આ ઘીનો ઉપયોગ ગામના જ ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા થાય છે. પલ્લી પસાર થતા જ આ સમાજના લોકો વાસણો દ્વારા ઘીને ભરતા હોય છે.  

હજારો વર્ષો જૂની પરંપરા, માતાજીના ગોખમાં કબૂરત જોવા મળ્યું
હજારો વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આસુ સુદ નોમના દિવસે પલ્લી નીકળે છે. પાંડવોના વનવાસ કાળની વાર્તા સાથે જોડાયેલી આ પરંપરા હજુ પણ યથાવત છે. સમગ્ર ગામના 27 ચકલાઓ પર પલ્લી ફરી મંદિરે પહોંચે છે. ગામના તમામ ચકલાઓ પર પલ્લી ઉપર ઘીનો અભિષેક કરવામાં આવે છે. હજારો ભક્તો પલ્લી પર ભી નો અભિષેક કરી પોતાની માનતા પૂર્ણ કરે છે. આ દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. સમગ્ર પલ્લીના મેળા દરમિયાન આરોગ્ય, સુરક્ષા વ્યવસ્થા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો પલ્લીના દર્શને રૂપાલ ગામે ઉમટી માતાજીના દર્શનનો લાભ લીધો. જોકે, આ વખતે માતાજીના ગોખમાં કબૂતર જોવા મળતા ભક્તોમાં અનેરો આનંદ પણ જોવા મળ્યો. 

આજદિન સુધી કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો 
નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે. પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.   

પલ્લી શું હોય છે 
પલ્લી શું છે, એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી, તેવો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે, આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.  

પલ્લી માટે ખીજડાના વૃક્ષનું મહત્વ
પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકી ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે.

અઢારે આલમના લોકો સેવા કરે છે 
ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે, અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ ધરાવવાની છાબ વાલ્મિકી સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.

પલ્લીની પ્રથા ક્યાંથી આવી 
પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે. વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news