સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, 'અયોધ્યા-કાશી છોડો, પહેલા જામા મસ્જિદ તોડો'

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે.

સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, 'અયોધ્યા-કાશી છોડો, પહેલા જામા મસ્જિદ તોડો'

નવી દિલ્હી/ઉન્નાવ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશમાં રાજકીય નિવેદનોનો દોર સતત ચાલુ છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ આ મામલે નિવેદન કરી રહ્યાં છે. પરંતુ આ વખતે તેમણે બધાને પાછળ છોડી એક મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉન્નાવમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભાજપના સાંસદે દિલ્હીના જામા મસ્જિદને તોડવાની વાત કરી છે. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને સુપ્રીમ કોર્ટ ઉપર પણ નિશાન સાધ્યું છે. આ સાથે જ સાક્ષી મહારાજે દાવો કર્યો છે કે ગમે તે કરવું પડે, પરંતુ 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે. 

ઉન્નાવના નવાબગંજમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા ઉન્નાવના ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના વલણની હું ટીકા કરું છું. તેમણે કહ્યું કે અનેક મહત્વના કેસોમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે. પરંતુ કોર્ટ અયોધ્યા મુદ્દાને ટાળી રહી છે. સાક્ષી મહારાજે જામા મસ્જિદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે અયોધ્યા, મથુરા, કાશી તો છોડો, દિલ્હીની જામા મસ્જિદ તોડો. જો ત્યાંની સીડીઓમાંથી મૂર્તિઓ ન નીકળે તો મને ફાંસીએ ચડાવી દેજો. 

તેમણે કહ્યું કે મુઘલકાળમાં હિંદુઓના સન્માન સાથે રમત રમાઈ હતી. મુઘલકાળમાં મંદિરો તોડવામાં આવ્યાં અને મસ્જિદો બનાવવામાં આવી. સાક્ષી મહારાજે ઉન્નાવમાં કહ્યું કે જો 100 કરોડ હિંદુઓની ઈચ્છા છે, ધર્માચાર્યોની ઈચ્છા છે, સંઘ પરિવારની ઈચ્છા છે કે અયોધ્યામાં ભગવાન રામનું ઝડપથી મંદિર બને. હવે કાં તો વટહુકમ લાવવામાં આવે નહીં તો સોમનાથની જેમ કાયદો બને અથવા પૂર્વ પીએમ નરસિંહારાવે જે જમીન સંપાદિત કરી હતી તે જમીન રામજન્મ ભૂમિ ન્યાસને આપી દેવામાં આવે. તેમનું કહેવું છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news