ટાટા ગ્રુપ હેઠળ આજથી ઉડાન ભરશે એર ઈન્ડિયા, આ રીતે કરશે મુસાફરોનું સ્વાગત

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાને હસ્તગત કરી છે. તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ, આજથી એર ઈન્ડિયા ટાટા ગ્રુપ હેઠળ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. પ્રથમ દિવસે મુસાફરોને આનંદદાયક અનુભવ મળે તે માટે એરલાઇન કંપની દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

ટાટા ગ્રુપ હેઠળ આજથી ઉડાન ભરશે એર ઈન્ડિયા, આ રીતે કરશે મુસાફરોનું સ્વાગત

નવી દિલ્હી: એર ઈન્ડિયા સત્તાવાર રીતે ટાટા ગ્રુપનો એક ભાગ બની ગઈ છે. આવી સ્થિતિમાં આજથી એર ઈન્ડિયાની નવી શરૂઆત થવા જઈ રહી છે. કંપનીના એરક્રાફ્ટ ટાટા ગ્રુપ હેઠળ ઉડાન ભરશે. આવી સ્થિતિમાં, ટેકઓફ પહેલા, મુસાફરોનું વિમાનમાં વિશેષ રીતે સ્વાગત કરવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

મુસાફરોને આવકારવા માટે સર્ક્યુલર જાહેર
ટાટા ગ્રુપ હેઠળ આજથી શરૂ થઈ રહેલી એર ઈન્ડિયાની એરલાઈન મુસાફરો માટે યાદગાર બની રહે. આ માટે એરલાઈન કંપની દ્વારા ક્રૂ મેમ્બરો માટેની જાહેરાત અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્લેનમાં મુસાફરોનું ખાસ રીતે સ્વાગત કરવામાં આવશે. ટેક ઓફ કરતા પહેલા એરક્રાફ્ટનો કેપ્ટન એક જાહેરાત કરશે કે 'પ્રિય ગ્રાહક, હું તમારો કેપ્ટન (પોતાનું નામ) બોલી રહ્યો છું. આજની ઐતિહાસિક ફ્લાઇટમાં આપનું સ્વાગત છે. આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે એર ઈન્ડિયા 7 દાયકા પછી ફરીથી સત્તાવાર રીતે ટાટા ગ્રુપનો ભાગ બની ગઈ છે. અમે એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં અને દરેક ફ્લાઈટમાં નવી જોશ સાથે તમારી સેવા કરવા આતુર છીએ. આશા છે કે તમારી યાત્રા સારી રહે. આભાર.'

એન ચંદ્રશેખરન પીએમ મોદીને મળ્યા હતા
અગાઉ ગુરુવારે, એર ઈન્ડિયાનું સત્તાવાર હેન્ડઓવર લેતા પહેલા, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન એર ઈન્ડિયાની ભાવિ રૂપરેખા અને હેન્ડઓવરની પ્રક્રિયા અંગે વાતચીત થઈ હતી. તે પછી એન. ચંદ્રશેખરન એર ઈન્ડિયા હેડક્વાર્ટર પહોંચ્યા. હેન્ડઓવરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બોર્ડ સાથે બેઠક યોજી હતી. આ પછી તેઓ નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ મળ્યા.

— ANI (@ANI) January 27, 2022

એરલાઇન્સ ફરીથી બનશે ટાટાનો હિસ્સો
એર ઈન્ડિયાની શરૂઆત વર્ષ 1932 માં થઈ હતી. ત્યારે જેઆરડી ટાટાએ ટાટા એરલાઈન્સના નામથી તેની શરૂઆત કરી. બાદમાં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ટાટા એરલાઈન્સનું નામ બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું. હવે 69 વર્ષ બાદ એર ઈન્ડિયા ફરીથી ટાટા ગ્રુપનો હિસ્સો બની ગઈ છે.

18 હજાર કરોડમાં ટાટાએ ખરીદી
અગાઉ સરકાર ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયામાં અમુક ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી હતી, પરંતુ પછી સરકારે આખો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો. આ પછી ટાટાએ 18,000 કરોડ રૂપિયામાં બોલી લગાવીને એરલાઇન્સ ખરીદી. જણાવી દઈએ કે એર ઈન્ડિયાનું સંચાલન ટાટા ગ્રુપની ટેલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવશે. કંપનીએ જ બોલી લગાવીને ટેન્ડર જીતી લીધું હતું. ટેલ્સ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. ટાટા જૂથ પાસે અગાઉ વિસ્તારા અને એર એશિયા એરલાઇન્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news