બનાસકાંઠામાં શિક્ષિત મહિલા પર ભાજપે ભરોસો મૂક્યો, સ્વ ગલબાભાઈની પૌત્રીને મળી ટિકિટ

Loksabha Election 2024 : ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. ભાજપે બનાસકાંઠામાંથી પરબત પટેલને બાકાત રાખી ડો રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી ભાજપે ચૌધરી સમાજને ટાર્ગેટ કર્યો છે. રેખાબેન સ્વ. ગલબાભાઈની પૌત્રી છે.

બનાસકાંઠામાં શિક્ષિત મહિલા પર ભાજપે ભરોસો મૂક્યો, સ્વ ગલબાભાઈની પૌત્રીને મળી ટિકિટ

Loksabha Election 2024 : ભાજપે આ જે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે. ભાજપે બનાસકાંઠામાંથી પરબત પટેલને બાકાત રાખી ડો રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી ભાજપે ચૌધરી સમાજને ટાર્ગેટ કર્યો છે. રેખાબેન સ્વ. ગલબાભાઈની પૌત્રી છે. બનાસકાંઠા જિલ્લામાં સ્વ. ગલબાભાઈનું નામ ભારે આદરથી લેવાય છે. ડો. રેખાબેન ચૌધરીએ ઉચ્ચ અભ્યાસ કરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. જેઓનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. 

બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન, બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વમાનભેર પોતાનું જીવન જીવી રહ્યા છે એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડો. રેખાબેન બહેનોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી તેમના દાદાશ્રીનો વારસો પણ સાચવી રહ્યા છે. પરબતભાઈ પટેલ અહીંથી ભાજપના સાંસદ હતા પણ ભાજપે અહીં મહિલા અને શિક્ષિત ઉમેદવારનો દાવ ખેલ્યો છે. પરબતભાઈની ઉંમર 70 પ્લસ હોવાથી તેમનું નામ કપાવવાની પૂરી શક્યતા હતી. 

ગલબાભાઈ પટેલે ઈ.સ ૧૯૫૪માં ખેડૂતોના લાભાર્થે 'નળાસર - ટીંબાચૂડી ઇરીગેશન સોસાયટી'ની સ્થાપના કરી હતી અને પોતે આ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ સોસાયટીના માધ્યમથી ખેડૂતોને તે સમયે સિંચાઈના મશીન વસાવવા સબસીડી મળતી હતી અને સસ્તા દરે મશીનો પૂરા પાડવામાં આવતાં હતા. આ ઉપરાંત જ્યારે તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે પ્રથમ ઓફિસ ટીંબાચૂડી મુકામે શરૂ કરી હતી જ્યાં તેઓ પાથરણા પાથરી નીચે બેસી લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ રહેતા હતા.

ગામડામાં વસતી વિધવાઓનું સન્માનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક અને સામાજીક સ્તર ઊંચુ લઈ જવું એ તેમનું સ્વપ્ન હતું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની આઠ સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને ૧૦ માર્ચ ૧૯૬૬ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દુધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યુ. આ પાયાનાં કાર્યથી ૩૧ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. પાલનપુરની નોંધણી થઈ અને આ રીતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી. ૧૪ જાન્યુઆરી ૧૯૭૧ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો હતો.

ડૉ. રેખાબેન નું સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. ડો. રેખાબેન તથા તેમના પતિ ડૉ. હિતેશ પ્રેમજીભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તા છે.  ડૉ. હિતેશભાઈ ચૌધરી હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તથા અગાઉ કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી, યુવા મોરચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવે છે. ડૉ. હિતેશભાઈ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ઉત્તર ગુજરાત ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે રહી ચૂક્યા છે. તેમજ મૂળ વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કાર્યકર્તા રહ્યા છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news