ગુજરાતમાં વિકાસની વાતો કરનારા બતાવે કોના કારણે 1392 આવાસ બની ગયા ખંડેર! 7 વર્ષથી ખાઈ રહ્યા છે ધૂળ

બનાસકાંઠાના પાલનપુરમાં 32 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આવાસ છેલ્લાં 7 વર્ષથી ખાઈ રહ્યા છે ધૂળ, વિકાસની વાતો કરનારા બતાવે કોના કારણે 1392 આવાસ બની ગયા ખંડેર
 

ગુજરાતમાં વિકાસની વાતો કરનારા બતાવે કોના કારણે 1392 આવાસ બની ગયા ખંડેર! 7 વર્ષથી ખાઈ રહ્યા છે ધૂળ

અલકેશ રાવ/બનાસકાંઠા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન કે કાચા મકાન ધારકોને પાકું મકાન મળે તે હેતુસર સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ઘોર બેદરકારી દાખવી કે 7 વર્ષ અગાઉ સરકારના 32 કરોડ રૂપિયા વપરાઈ ગયા છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન મળ્યું નથી. 

જો કે પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 7 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દૂરઉપયોગ થઇ ગયો જો કે આ વાત ને 7-7 વર્ષો વીત્યા છતાં ય આજદિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલાં ન લેવાતા સ્થાનિક લોકોમાં રોષ ભભુક્યો છે.

જિલ્લા મથક પાલનપુર નજીક 32 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા સાત વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ના હલે તેવી બાબત પાલનપુરમાં સામે આવી છે. વર્ષ 2016માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી. જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા.

આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વગર ૩2 કરોડના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે જ્યારે સરકારના 32 કરોડ રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે.

હરિપુરા વિસ્તારમાં બનાવવાની આવાસ યોજના પાલિકાએ સદરપુર વિસ્તારમાં બનાવી દીધી..
મહત્વની વાત છેકે 1986 થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું અને પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ 2012 માં ઓક્સીડન્ટ પ્લાન્ટ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. પરંતુ 8 કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં છે તેનો ઉપયોગ નથી થયો અને શહેર પરનું ગંદા પાણીનો નિકાલ પણ અત્યારે રાજીવ આવાસ યોજનામાં થઈ રહ્યો છે.

સદરપુર ગ્રામ પંચાયત પાસે ગામ તળ નથી ગામના લોકોને રહેવા માટે મકાન માટે મુશ્કેલીઓ છે ત્યારે સદરપુર ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી જમીન પર પાલનપુર નગરપાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઉભા કરી દીધા.જો કે નથી ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી આપી કે નથી હેતુફેરની મંજૂરી આપી કોઈપણ પ્રકારની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી લેવામા આવી નથી અને મનમાની કરી અને આ રાજીવ આવાસ યોજના બનાવી દીધી છે જે બાબતે પણ અગાઉના અને વર્તમાન સરપંછે પણ વિરોધ નોંધાવ્યો છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી.

આ આવાસ યોજના અમારા ગામમાં બનાવી છતાં પંચાયત માથી કોઈ પરવાનગી લેવાઈ નથી..
રાજીવ આવાસ યોજનાના 1392 મકાન 32 કરોડના ખર્ચે બન્યા હતા જે આજે સાત વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીબાવાસી યોજના અને ખસેડી અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે જેના કારણે વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે ભાજપ સાશીત પાલિકા ઉપર સરકારના 33 કરોડ રૂપિયા પાણીમાં નાખી દીધાના આક્ષેપ કર્યા હતા.

પાલનપુર શહેર માટે બનાવનાર આવાસ યોજના પાલિકાએ સદરપુર ગામની જગ્યામાં બનાવી દીધી!
જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે વંચિતોને લાભ મળે તે આસયથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે અને હેતુફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે જોકે સરકારની મળતાની સાથે જ રાજીવ આવાસ નું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે તેવો લુલો બચાવ નગરપાલિકાના ચીફ ઓફિસર કરી રહ્યા છે. 

હેતુફર માટે સરકારમાં દરખાસ્ત કરી દેવાઈ છે
પાલનપુરમાં રાજીવ આવાસ યોજનામાં સરકારના કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ પાલિકાની બેદરકારીના કારણે લાભાર્થીઓને મળ્યા નથી ત્યારે હવે જોવાની એ રહ્યું કે રાજીવ આવાસ યોજનાનો લાભ ગરીબ લાભાર્થીઓને ક્યારે મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news