રંગ રાખ્યો આજે કાઠિયાવાડે... પીએમ મોદીએ આવું કહેતા જ જામકંડોરણાની સભા ગુંજી ઉઠી

PM Modi In Gujarat : સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદીનો ઝંઝાવાતી પ્રચાર... જામકંડોરણા પહોંચેલા PM મોદીનું થયું ભવ્ય સ્વાગત... જામકંડોરણામાં દોઢ લાખ લોકોને પીએમ મોદીનું સંબોધન... 

રંગ રાખ્યો આજે કાઠિયાવાડે... પીએમ મોદીએ આવું કહેતા જ જામકંડોરણાની સભા ગુંજી ઉઠી

રાજકોટ :પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસે છે. ત્યારે તેઓ આજે સૌરાષ્ટ્રના જામકંડોરણા પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી મોદી આજે ઝંઝાવાતી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે જામકંડોરણામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું. તેમના આગમન પ્રસંગે ‘મોદીજી તમે ભલે પધાર્યા’ ગીત ગાવામાં આવ્યુ હતું. દોઢ લાખની જનમેદની વચ્ચે પીએમ મોદીની ભવ્ય એન્ટ્રી થઈ હતી. 

તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, હું પહેલો પ્રધાનમંત્રી છું, જે જામકંડોરણા આવ્યો છું. જામકંડોરણામાં પહેલા ક્યારેય આવુ દ્રશ્ય જોવા મળ્યુ નહિ હોય. આ ભૂમિ પર આવું ત્યારે વિઠ્ઠલ રાદડિયાની યાદ જરૂર આવે. આજે દેશના બે મહાન મહાપુરુષોની જયંતી છે. જે કામ જયપ્રકાશ નારાયણના અધૂરુ મૂકીને ગયા, તે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું કામ આપણે કરવાનું છે. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું અમે બીડું ઉપાડ્યું છે. 

રંગ રાખ્યો આજે કાઠ્યાવાડે... 
રંગ રાખ્યો આજે કાઠ્યાવાડે... એવુ કહેતા તેમણે કહ્યું કે, સરકારના વડા તરીકે મેં ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું. તેના 21 વર્ષ પૂરા થયા. તેની શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી. રાજકોટે મને આર્શીવાદ આપીને મોકલ્યો હતો. મારું સૌભાગ્ય છે કે, અહી પ્રવેતા તે મને કરસનબાપાના આર્શીવાદ મળ્યાં. આ ભૂમિ જલારામ બાપુની ભૂમિ છે. ખોડિયાર માતાના આર્શીવાદ છે. આજે અનેક સાથીઓને મળવાનું થયું. મહિનાઓ, વર્ષો વીત્યા પણ ગુજરાતના આયોજન નવુ સર કરતા જાય છે. તેની પાછળ માત્ર સરકાર નહિ, નરેન્દ્ર-ભૂપેન્દ્ર નહિ, પરંતુ તમારી દિવસરાતની મહેનત છે. 

કોંગ્રેસે મને ગાળો ભાંડવાનો કોન્ટ્રાક્ટ આઉટસોર્સ કર્યો છે 
જામકંડોરણામાં પ્રધાનમંત્રી મોદી વિરોધીઓ પર વરસ્યા હતા. તેમણે કહ્યું કે, પહેલાં મારા પર મોતના સૌદાગર જેવા પ્રહારો કરતાં. ગુજરાતના લોકો જવાબ આપતાં તો પણ સુધરતા ન હતા. આ વખતે કોંગ્રેસે નવી ચાલ રમવાનું શરૂ કર્યુ છે. આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ કરતી નથી, કોઈ પીસી કરતી નથી. પ્રેસ કોન્ફરન્સ કરે તો પણ મોદી પર હુમલો કરતી નથી. અપશબ્દોનો બિલકુલ ઉપયોગ કરતી નથી. કોંગ્રેસે હોબાળો કરવાનો કોન્ટ્રાક્ટ બીજાને આપી દીધો છે. ગાળો ભાંડવાનો કોન્ટ્રાક્ટ તેમણે આઉટસોર્સ કરી દીધો છે.

એક જમાત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતી નથી
સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ભારત સરકારની એજન્સી સામે સવાલો ઉઠાવે છે. જે તમે લૂંટયું છે તે પાછું જનતાને આપવું જોઈએ કે નહીં? ગુજરાતનો વિકાસ સતત થઈ રહ્યો છે. તેની પાછળ માત્ર નરેન્દ્ર-ભુપેન્દ્ર જ નહીં તમારા જેવા કેટલાય કાર્યકરોની મહેનત છે. કોરોનાના બે વર્ષ બાદ આ વખતે તો મેં જોયું છે કે, ગુજરાતે દાંડિયામાં રમઝટ બોલાવી છે. એક સમયે ગુજરાતના લોકો બહાર ફરવા જતા હતા, હવે ચક્ર બદલાયું અને દુનિયા ગુજરાતમાં આવતી થઈ છે. હા, એક જમાત નથી, ખબર નહિ તેમને શું તકલીફ છે. કોંગ્રેસવાળાઓને પૂછજો કે, તમે સરદારના સ્ટેચ્યુને જોવા ગયા કે નહિ. 

ગુજરાત વિકાસનું જનઆંદોલન બન્યું. કોઈ પણ સેક્ટર આંકડાથી સિદ્ધ થઈ શકે છે. ગુજરાતના વિકાસની વાત મજબૂત, સર્વવ્યાપી, દીર્ઘદ્રષ્ટાંક છે. બે દાયકા પહેલા પરિસ્થિતિ ભિન્ન હતી. શિક્ષા માટે યુવાઓ માટે શૈક્ષણિક સંસ્થાઓ ન હતી. હવે અન્ય રાજ્યોના બાળકો ગુજરાતમાં એડમિશન માટે થનગને છે. 

જામકંડોરણામાં મોદીનો 'મેગા શો’ જોવા મળ્યો. તેઓ કારમાંથી ઉતરીને સભા સ્થળ સુધી ચાલતા ગયા હતા. રસ્તામાં બિછાવેલી લાલ જાજમ પર તેઓ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધ્યા હતા. આ સમયે જનમેદનીમાં મોદી મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. સભાસ્થળે તિરંગા લહેરાવાયા હતા, જેથી દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો. પીએમ મોદીના આગમન સમયે લોકગાયિકા ફરીદા મીરની ગીતથી ઓડિયન્સમા જુસ્સો ભરાયો હતો. 

જામકંડોરણામાં પીએમ મોદીનો વટ પડ્યો, જનમેદની વચ્ચેથી કરી રોયલ એન્ટ્રી

જામકંડોરણામાં દોઢ લાખ લોકો બેસી શકે તે માટે 5 વિશાળ ડોમ બનાવાયા છે. પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ જામકંડોરણામાં તડામાર તૈયારી કરાઈ છે. બપોરે PM મોદી અમદાવાદ જવા રવાના થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news