પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 186 સુરતીઓ શારજાહ ગયા, સુરતી જેસ્મિને ફ્લાઇટ ઉડાવી

છેલ્લા કેટલાક સમયથી સુરતીઓ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટની માગણી કરી રહ્યાં હતા. સુરતથી લઇ દિલ્હી સુધી સતત માગણીઓ અને રજુઆતોનો દોર યથાવત રાખ્યો હતો. ત્યારે સુરતીઓના વિલબનો અંત આવી ગયો છે.

પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 186 સુરતીઓ શારજાહ ગયા, સુરતી જેસ્મિને ફ્લાઇટ ઉડાવી

તેજશ મોદી, સુરત: અનેક રજૂઆત અને આંદોલન બાદ આખરે સુરતીઓ માટે 16મી ફેબ્રુઆરીની રાત સુવર્ણ અક્ષરમાં લખાઇ ગઇ છે. કારણ કે, સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેની પહેલી સુરત શારજાહ ફ્લાઇટે લેન્ડિંગ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી સુરતીઓ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટની માગણી કરી રહ્યાં હતા. સુરતથી લઇ દિલ્હી સુધી સતત માગણીઓ અને રજુઆતોનો દોર યથાવત રાખ્યો હતો. ત્યારે સુરતીઓના વિલબનો અંત આવી ગયો છે. શનિવારની રાત્રિથી એરપોર્ટ ખાતેથી શારજાહને જોડતી પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત થઇ છે.

સુરત એરપોર્ટને શણગારવામાં આવ્યું હતું. પ્રથમ વખત શારજાહથી સુરત આવી રહેલા અને સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેસી શારજાહ જઇ રહેલા પેસેન્જરોનો ઉત્સાહ પણ જોવા લાયક હતો. શારજાહથી આવેલી પર્થમ ફ્લાઇટને સુરત એરપોર્ટ ખાતે ‘વોટર કેનન સેલ્યૂટ’ આપવામાં આવ્યું હતું. પેસેન્જરો ખૂબ ઉત્સાહિત હતા. આ તબક્કે એર ઇન્ડિયાના સીઇઓએ પણ આશા વ્યક્ત કરી હતી કે, જો સુરતનો રિસ્પોન્સ આવો જ રહ્યો તો આગામી દિવસોમાં વધુ ફ્લાઇટો મળી શકે છે. તો શારજાહની ફ્લાઇટ સુરત લાવનારી મૂળ સુરતી મહિલા પાઇલોટ જેસ્મીન મિસ્ત્રીએ પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું કે, તેઓ પોતાના લોકો માટે ખુશીનું કારણ બન્યા છે. તેનો તેમને ખુબ જ આનંદ છે.

દેશના મહત્વના શહેરો સાથે સીધી કનેક્ટિવિટી મળ્યા પછી આંતરરાષ્ટ્રીય જોડાણ સુરતને 16-17 ફેબ્રુઆરી 2019થી મળ્યું છે. રાત્રે 12:30 વાગ્યે સુરત એરપોર્ટ પરથી શારજાહ માટે રવાના થયેલી એર એશિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં 186 પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. સુરતથી શારજાહની ફ્લાઇટથી સુરતને આંતરરાષ્ટ્રી નક્શામાં સ્થાન મળ્યું છે. સુરતથી શારજાહ માટેની આ પ્રથમ ફ્લાઇટ માટે શહેરીજનોમાં જબરજસ્ત અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રથમ ફ્લાઇટ હોવાના કારણે વિવિધ સંસ્થામાંથી પણ પ્રવાસ માટેનું બુકિંગ ગ્રુપમાં કરાયું હતું. ફ્લાઇટનું બુકિંગ રૂપિયા 8,500થી થયું હતું અને છેલ્લે રૂપિયા 12,000 સુધી પહોંચ્યું હતું. શારજાહથી પરત થતી સુરતની ફ્લાઇટને 90 જેટલા પેસેન્જરો મળી શક્યા છે. શારજાડ જનારી પ્રથમ ફ્લાઇટમાં સૌથી વધારે બુકિંગ સુરતના હીરા વેપારીઓએ કરાવ્યું છે. મહત્વનું એ છે કે, 20 હજાર સુરતીઓ શારજાહમાં વસવાટ કરે છે.

16 ફેબ્રુઆરી
શારજાહથી સાંજે 07:35 વાગ્યે ફ્લાઇટ ઉપાડી હતી. (ત્યારે સુરતમાં રાત્રીના 09:05 વાગ્યા હોય છે), ફ્લાઇટ સુરત પહોંચશે રાત્રિના 11:45 કલાકે (શારજાહમાં રાત્રીના 10:15 વાગ્યા હોય છે), સુરતથી રાત્રે 12:30 વાગે ફ્લાઇટ ઉપડી (ત્યારે રાત્રીના 11:00 વાગ્યા હોય છે), ફ્લાઇટ શારજાહ પહોંચી રાત્રીના 02:15 (સુરતમાં રાત્રીના 03:45 વાગ્યા હોય છે). મહત્વનું છે કે, ફેબ્રુઆરી અને માર્ચમાં માત્ર બે દિવસ ફ્લાઇટનો સીડ્યુલ ગોઠવવામાં આવ્યો છે. પરંતુ એપ્રિલ મહિનામાં અઠવાડિયામાં ચાર શિડ્યુલ સુરતને મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news