ભાવનગરના લોકોને ક્યારે મળશે સિટી બસનો લાભ? રોડમેપ તૈયાર, પ્રથમ તબક્કે 16 રૂટ નક્કી, પણ ઉભા છે આ સવાલ
ભાવનગરમાં ધીમા ચાલી રહેલા અન્ય વિકાસ કામોની જેમ ઈ બસ સેવા શરૂ થવામાં પણ વિલંબ નહિ થાય ને? અગાઉ સીટી બસ સેવા શરુ કરવા જાહેરાત થઈ હતી જે સફળ નથી થઈ, ત્યારે ખરેખર લોકોને સીટી બસ સેવા મળશે ખરી?? એવા સવાલો લોકો પૂછી રહ્યા છે
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને સિટી ઈ બસની સુવિધા મળી રહે એ માટે આગળ વધી રહ્યું છે. સરકાર દ્વારા કરાયેલ જાહેરાત મુજબ ભાવનગર ને 100 ઈ બસની ફાળવણી કરવામાં આવનાર છે. હાલ તો લોકોને પૂરતી સીટી બસ સુવિધા મળતી નથી, લોકો મોંઘા ભાડા ખર્ચી ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે. મનપાએ ઈ બસ આવતા પૂર્વે રોડમેપ તૈયાર કરી લીધો છે. જેમાં પ્રથમ તબક્કે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ 28 કિમી સુધી ઈ બસ સુવિધા મળશે એવુ શાસકો કહી રહ્યા છે. જે માટે શહેરના છેવાડે એડમિન બિલ્ડિંગ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે.
વિકાસની હરણફાળ ભરી રહેલા ભાવનગરને મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ મહાનગરમાં લોકો માટે સિટી બસ સુવિધાના નામે માત્ર મીંડુ છે. કારણ કે શહેરમાં એક જ સિટી બસ છે અને એ પણ માત્ર ભરતનગરના એક જ રૂટ પર ચાલી રહી છે. અને તે પણ પૂરતી નહીં થઈ રહેતા લોકોએ ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે. અને તેના તગડા ભાડા પણ ચૂંકવવા પડે છે. આવા સંજોગો વચ્ચે કેન્દ્ર સરકારે ભાવનગરને 100 ઈલેકટ્રીક બસ આપવાની જાહેરાત કરતા નગરજનોને રાહત થઈ છે.
સરકાર દ્વારા જાહેરાત કરાયા બાદ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડી 7 થી 8 માસ પૂર્વે એજન્સી ને કામ સોંપી દેતા ઈ બસ ડેપો માટે એડમિન બિલ્ડિંગ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ એરિયા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં એજન્સી દ્વારા એડમિન બિલ્ડીંગનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીનું કામ પણ ધીમી ગતિએ આકાર લઈ રહ્યું છે.
સરકારની જાહેરાત બાદ મનપાએ રોડમેપ તૈયાર કરી દીધો છે. જેમાં પ્રારંભિક તબક્કે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ લાભ મળી રહે એ માટે 28 કિમી સુધીના સિહોર, વરતેજ, દેવગાણા, ભંડારિયા સહિતના પેરિફેરી વિસ્તારને પણ આયોજનમાં જોડી દેવામાં આવ્યો છે. તેમજ જે રૂટ પર ઈ બસ દોડવાની છે. તે પૈકી બે સ્થળો દેસાઈનગર અને ચિત્રા વિસ્તારમાં બસ સ્ટોપ પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સિટી બસની સુવિધા જલ્દીથી મળી રહે તેવી લોકોની માંગ છે.
પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના જુદા-જુદા નગરોને કેન્દ્ર સરકાર હારા ઈલેકટીક બસ ફાળવવામાં આવશે. જે યોજનામાં ભાવનગરનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. ભાવનગરની વસ્તીના પ્રમાણમાં સરકાર દ્વારા ૧૦૦ ઈ બસની સુવિધા મળશે. જે 100 બસનો સમાવેશ થઈ શકે તેવું ભાવનગર મહાનગર પાસે કોઈ માળખું તૈયાર ના હોય તંત્ર માટે નવો પડકાર છે. જ્યારે મુસાફરોનો ટ્રાફિક, મુસાફરોને રૂટની અનુકુળતા અંગે વિચારણા કરી રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
જો મુસાફરોનો વધુ સમય વેડફાય તો પણ મુસાફરો સુવિધાનો લાભ લેવાથી દુર રહી શકે, જ્યારે નગરની બહારના ગામોમાં જવા માટે જ્યાં વધુ લોકોની આવન જાવન અને ભીડ તેમજ ટ્રાફિક રહે છે. તેવ રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શહેરથી 30 કિમી સુધીના ગ્રામ્ય વિસ્તારને આવરી લેવા પ્રયાસ કરાયો છે. જેના પગલે મનપાએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી 100 બસ નો સમાવેશ કરી શકાય એ માટે શહેરના છેવાડે આવેલા ટોપ3 સર્કલ નજીક અધેવાડા ખાતે ૧૮ કરોડના ખર્ચે ઈ બસ ડેપોનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે
ઈ બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. એ સારી વાત છે. પરંતુ આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે શાસકો વોટબેન્કની ચિંતાને લઈને વાયદાઓ કરી રહ્યા છે. અગાઉ પણ શાસકોએ સિટી બસ સેવા શરૂ કરવા વાયદાઓ કર્યા હતા જે સફળ થયા નથી, લોકોને, વિધાર્થીઓને મોંઘા ભાડા ચૂકવવા પડે છે. ભાવનગરમાં થઈ રહેલા એક પણ વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ નથી થયા, ત્યારે ઈ બસની સેવા લોકોને સમયસર મળી રહે, વિકાસના કામો સમયસર પૂરા કરાવવામાં શાસકો હંમેશા નિષ્ફળ રહ્યા છે. એવું કોંગ્રેસના કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું.
જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયાએ એ જણાવ્યું હતું કે લોકોને ઈ બસની સુવિધા મળી રહે એ માટે અમે તત્પર છીએ, કુલ દોઢસો પીકઅપ પોઇન્ટ ઊભા કરવાના છીએ જે પૈકી પ્રારંભિક 50 પોઇન્ટ ઊભા કરવાની અમારી તૈયારી છે. બસ ચલાવવા માટે પણ અમે એજન્સી નક્કી કરી લીધી છે. જે મંજૂરી માટે સરકાર પાસે પ્રપોજ્લ મોકલવાની છે. કોલેજના વિધાર્થીઓ પાસે સર્વે કરાવવામાં આવ્યો છે. ભાડાની રકમ, સેફ્ટી, તેમજ સમયસર બસ સુવિધા મળી રહે એ માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે